ચકચારી કિસ્સામાં અગાઉ અન્ય આરોપી લાખોના મુદ્દામાલ સાથે ઝડપાયા બાદ પંજાબથી મુખ્ય સૂત્રધાર સહિત વધુ ૫ વધુ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા કરોડથી વધુ મૂલ્યના વોલેટ ક્રિપ્ટો જપ્ત
ગાંધીધામ
પૂર્વ કચ્છ પોલીસે અપહરણ અને કરોડો રૂપિયાની ખંડણી વસૂલવાના ગુનામાં મોટી સફળતા મેળવી હતી.દુબઈમાં બેઠેલા વેપારીના ભાઈને વિડીયો કોલ કરી મારી નાખવાની ધમકી આપીને રૂ. ૫.૫૫ કરોડથી વધુ કિંમતના USDT (ક્રિપ્ટોકરન્સી)ની ખંડણી માંગવાના બહુચર્ચિત કેસમાં પોલીસે મુખ્ય આરોપીઓ સહિત વધુ ૫ આરોપીઓની ધરપકડ કરી છે. બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસની ટીમે ગુજરાત એટીએસ(ATS) તથા પંજાબ એસટીએફ (STF)ની મદદથી સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. અને મુખ્ય આરોપીઓ પંજાબના ભટિંડા ખાતે છુપાયા હોવાની ટેકનિકલ માહિતી મળતાં જ પોલીસે ત્યાં દરોડો પાડીને તેમને ઝડપી પાડ્યો હતો.આ સિવાય અમદાવાદ અને જામનગર ખાતેથી પણ સહ-આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે જાવેદ અભુ સાયચા (ઉં.વ. ૩૪, રહે. સપનાનગર, ગાંધીધામ)મુખ્ય આરોપી, સોહિલ જુસબ બુચડ (ઉં.વ. ૨૨, રહે. તુણા વંડી, અંજાર)મુખ્ય આરોપી,રિઝવાન હુશેન ખીચા (ઉં.વ. ૨૬, રહે. સપનાનગર,ગાંધીધામ) મુખ્ય આરોપી, સહિત આ કિસ્સામાં સંડોવાયેલ મુનાવર મન્સુર બુચડ (ઉં.વ. ૩૯, મૂળ રહે. જોડિયા, હાલ રહે.જામનગર) તથા નાગજી બળદેવ દેસાઈ (ઉં.વ. ૨૩, રહે. મેમનગર, અમદાવાદ)ને ઝડપી પાડ્યો હતો. આ ગુન્હામાં અગાઉ ૧૦ આરોપીઓ સામે કાર્યવાહી કરી રૂ. ૪૪.૬૬ લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યો હતો અને કુલ ૪.૩૦ કરોડનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ત્યારે વધુ પાંચ આરોપી પાસેથી પણ વિવિધ મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.પોલીસે તાજેતરની કામગીરી દરમિયાન આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ કબ્જે કર્યો છે જેમાં આરોપી મુનાવર પાસેથી ૫૭.૫૦ લાખ ડિજિટલ વોલેટ/ક્રિપ્ટો (USDT): ૩.૧૧ કરોડથી વધુ મૂલ્યના USDT (જાવેદ અને મુનાવરના વોલેટમાંથી) સાથે ૧૪ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫.૪૨ લાખ) અને ગુનામાં વપરાયેલી ‘મહિન્દ્રા થાર’ ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી જાવેદ સાયચા અને સોહિલ બુચડ સામે અગાઉ કાંડલા મરીન,ગાંધીધામ બી-ડિવિઝન,ગાંધીધામ એ-ડિવિઝન અને આડેસર પોલીસ સ્ટેશનમાં પાઇપલાઇન ચોરી,હત્યાનો પ્રયાસ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.ઉપરાંત મુનાવર બુચડ સામે પણ જામનગર સિટી-સી સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.આ સફળ કામગીરી પૂર્વ કચ્છ એલસીબી પીઆઈ જે.એમ.વાળા, ગાંધીધામ એ-ડિવિઝન પીઆઈ એમ.જે.રાઠોડ,પીએસઆઈ ડી.જી.પટેલ, જે.ડી. પરમાર તથા ગુજરાત એટીએસ અને સ્થાનિક સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સાથે ઝડપાયેલા પાંચ આરોપીને સાથે રાખી પોલીસે બનાવ સ્થળે ધટનાનુ રીકન્સ્ટ્રક્શન પણ કર્યુ હતુ. ભરચક કહી શકાય તેવા વિસ્તારમાંથી જાહેરમાં થયેલા અપહરણ અને ત્યાર બાદ કરોડોની ખંડણીના કિસ્સાએ ભારે ચકચાર સર્જી હતી. જો કે હવે પોલીસે ગણતરીના દિવસોમાં 15 જેટલા આરોપીની ધરપકડ કરી કરોડો રૂપીયાની વસુલાત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.