લખપત તાલુકામાં GMDC દ્વારા ઘાસ પાણી તેમજ રોજગારી આપવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા દ્વારા કરાઈ લેખિત રજૂઆત, આ સાથે સામાજિક કાર્યકર ડી.એમ.ગઢવીએ લખપત તાલુકાના વિવિધ પાયાના પ્રશ્નો,અછતની સ્થિતિ,નર્મદાના પાણી પહોંચાડવા,ગાંડા બાવળના કોલસાને મંજુરી, ઉદ્યોગ દ્વારા રોજગારી અને પૌરાણિક તથા સમુદ્ર-પ્રકૃતિ પ્રવાસન સ્થળોના વિકાસ અંગે રજૂઆત કરી
દેશના સરહદી અને અતિ પછાત એવા કચ્છ જિલ્લાના લખપત તાલુકાના વિવિધ પાયાના પ્રશ્નો, અછતની સ્થિતિ,નર્મદાના પાણી પહોંચાડવા,ગાંડા બાવળ નાબૂદી/કોલસા ઉદ્યોગ દ્વારા રોજગારી અને પૌરાણિક તથા સમુદ્ર/પ્રકૃતિ પ્રવાસન સ્થળોના વિકાસ અંગે રજૂઆત સામાજીક અગ્રણી દ્વારા મુખ્યમંત્રીને કરાઇ છે. સામાજિક કાર્યકર ડી.એમ.ગઢવીએ એક પત્ર લખી રજુઆત કરતા જણાવ્યુ હતુ. કે કચ્છ જિલ્લો દેશનો એક મહત્વપૂર્ણ સરહદી વિસ્તાર છે.આ જિલ્લાનો લખપત તાલુકો ભારત-પાકિસ્તાન સરહદની અત્યંત નજીક આવેલો અતિ અંતરિયાળ અને પછાત વિસ્તાર છે. અહીંની પ્રજા મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી,પશુપાલન અને ગાંડા બાવળના લાકડા કાપી કોલસા બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.વર્ષ ૨૦૦૮માં GMDC સંચાલિત પાનધ્રો લિગ્નાઈટ ખાણ બંધ થયા બાદ આ વિસ્તારમાં રોજગારીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી,જેમાંથી સ્થાનિક પ્રજાએ પશુપાલન તરફ વળીને માંડ-માંડ પોતાનો સમય પસાર કર્યો છે.દેશનો અભિન્ન અંગ હોવા છતાં આ તાલુકો આજે પણ યોગ્ય વિકાસથી વંચિત રહ્યો હોય તેવી અનુભૂતિ થાય છે.આ વર્ષે લખપત તાલુકામાં વરસાદની ભયંકર અછત સર્જાઈ છે.વરસાદ ન થવાના કારણે પીવાના પાણી માટે સ્થાનિક પ્રજાને ભારે વલખા મારવા પડી રહ્યા છે.ઘાસચારા અને પાણીના અભાવે પશુધન બચાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ લખપત તાલુકાને તાત્કાલિક ધોરણે ‘અછતગ્રસ્ત’ જાહેર કરવામાં આવે તેમજ ઘાસચારાના ડેપો,કટોકટીના ભાગરૂપે પીવાના પાણીના ટેન્કર અને અછત રાહતના કામો તાત્કાલિક શરૂ કરવામાં આવે.
લખપતના વિકાસ માટે અનેક માંગણી
રજુઆતમાં દુષ્કાળ જેવી વિકટ સ્થિતિમાં હજારો ગરીબ શ્રમિક પરિવારોને પોતાનું પેટીયું રળવા માટે ગાંડો બાવળ કાપવાની તાત્કાલિક છૂટ આપવામાં આવે.આ સાથે સરકાર દ્વારા ઘણા સમય પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગોધાતડ ડેમ અને સાંધ્રોં ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવશે,પરંતુ ખેદ સાથે જણાવવું પડે છે કે આ કાર્ય આજ સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી.આ યોજનાને તાત્કાલિક અમલમાં મૂકીને ગોધાતડ અને સાંધ્રોં ડેમોને ત્વરિત નર્મદાના નીરથી ભરવામાં આવે તો લખપત તાલુકાની પાણીની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.આ સાથે તાલુકાની મોટાભાગની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભારે અછત છે. તો યોગ્ય આરોગ્ય વિષયક સુવિધાઓ અને પૂરતો મેડિકલ સ્ટાફ ન હોવાના કારણે લોકોને ગંભીર બીમારી સમયે ભારે હાલાકી ભોગવવી પડે છે.
પ્રવાસનનો વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ
આ સાથે આશાપુરા માતાજીનું મુખ્ય ધામ),પૌરાણિક ધામ નારાયણ સરોવર અને કોટેશ્વર,શિયોત ગામની બાજુમાં આવેલ પૌરાણિક કટેશ્વર મહાદેવ મંદિર અને મહાકાળી મંદિર,ઐતિહાસિક ગુનેરી ગુફા,તેમજ ગોધાતડ ડેમની બાજુમાં આવેલ પૌરાણિક દાડિયાળા ધ્રો અને આશાપુરા માતાજીનું મંદિર જેવા આસ્થાના કેન્દ્રો આવેલા છે.આ તમામ સ્થળોએ યાત્રાળુઓ માટે સુદ્રઢ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે.સાથે હાલમાં જે કિલ્લો જર્જરિત હાલતમાં જોવા મળે છે.જો કિલ્લાનું તાત્કાલિક રિનોવેશન કરીને યોગ્ય સુવિધાઓ વિકસાવવામાં આવે,તો દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષીને પ્રવાસન અને સ્થાનિક રોજગારીને ખૂબ જ મોટો વેગ આપી શકાયઆ સાથે નારાયણ સરોવર નજીક બીચ અને પક્ષી દર્શન પોઈન્ટ ઊભા કરવા તથા કોટેશ્વર જેટી અને સમુદ્ર દર્શન યોજનાનો અમલ થાય સાથે કોટેશ્વર ખાતે જેટી બનાવવાના કામની તાત્કાલિક અમલવારી કરવામાં આવે.તેવી માંગ સાથે સફારી પાર્કની યોજનાનો તાત્કાલિક અમલ કરવામાં આવે. સાથે તાલુકાના મુંધવાય અને આસપાસના ગામોમાં સિમેન્ટ ઉદ્યોગોને જમીન ફાળવવામાં આવી છે, પરંતુ વર્ષોથી અહીં કામ શરૂ થયું નથી.આ સિમેન્ટ કંપનીઓ ઝડપથી પોતાના પ્લાન્ટ સ્થાપે તે માટે યોગ્ય સૂચના આપવામાં આવે,જેથી હજારો સ્થાનિક યુવાનોને રોજી-રોટી મળી રહે.સામાજીક અગ્રણીએ ચિંતા વ્યક્ત કરી છે.જો સમયસર પાયાની સુવિધાઓ અને રોજગારી મેળવવા જેવા અગત્યના પ્રશ્નોનો યોગ્ય અને કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે,તો ભવિષ્યમાં દેશનો આ સંવેદનશીલ સરહદી વિસ્તાર તદ્દન સૂનો (નિર્જન) થઈ જવાની ભયંકર ભીતિ છે.
લખપતમાં ઘાસચારો-પાણીની વ્યવસ્થા કરવા માંગ
અષાઢ મહિના બાદ શ્રાવણ માસ અડધો વિતી ગયા બાદ પણ હજુ સુધી લખપત તાલુકામાં વરસાદ નહીં પડતા સર્જાયેલ દુષ્કાળની પરિસ્થિતિને કારણે ઘાસચારા તેમજ પાણીની મુશ્કેલી વચ્ચે માલધારીઓ અને પશુઓની હાલત કફોડી બની છે તો બીજી તરફ આ વિસ્તારમાં આવેલ જીએમડીસી દ્વારા પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવાની સાથે લોકોને રોજગારી આપવા માટેની લેખિત રજૂઆત કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા દ્વારા જીએમડીસીના મેનેજિંગ ડાયરેક્ટર સમક્ષ કરાઈ છે.કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હુસેન એ રાયમાંએ જીએમડીસીના મેનેજિંગ ડાયરેક્ટરને ઉદેશીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે લખપત તાલુકામાં અલગ અલગ ગામોમાં જીએમડીસી હસ્તકના પાંચ જેટલા પ્રોજેક્ટ આવેલા છે તેમજ આ પ્રોજેક્ટ દ્વારા વાર્ષિક અબજો રૂપિયાની કમાણી કરવામાં આવે છે.લિગ્નાઇટ અને વીજ ઉત્પાદનમાંથી મોટા પ્રમાણમાં કમાણી થાય છે.અને રાજ્યમાં કમાણીમાં સિંહ ફાળો આપતા આ ઔદ્યોગિક એકમ દ્વારા સીએસઆર યોજનાનો મુખ્ય ફાળો આ વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં આપી દેવાય છે.ત્યારે પશુપાલન અને ખેતી વ્યવસાય આધારિત આ તાલુકામાં ચાલુ વર્ષે હજુ સુધી વરસાદ ન પડતાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે.માનવ વસ્તી કરતા સૌથી વધુ પશુધનની સંખ્યા ધરાવતા આ વિસ્તારમાં વરસાદ વિના ખેતી પણ નિષ્ફળ નિવડી છે.જેના કારણે લોકોમાં હવે હીજરતનો દોર શરૂ થયો છે.ત્યારે લોકોની થતી હિજરત અટકાવવા અને અબોલ પશુઓ માટે ઘાસચારા તેમજ પાણીની વ્યવસ્થા જીએમડીસી દ્વારા કરવામાં આવે તેમજ સ્થાનિક લોકોને રોજગારી આપવાની માંગ સાથેની લેખિત રજૂઆત જિલ્લા કલેકટર તેમજ જીએમડીસી સમક્ષ કરવામાં આવી છે.
જો કે આ પહેલા પણ કચ્છના છેવાડાના લખપત માટે ધારાસભ્ય સહિત અનેક અગ્રણીઓએ અછતની જાહેરાત માટેની માંગ કરી છે. તો કોગ્રેસે વિરોધ વ્યક્ત કરી લખપતમાં પશુપાલકો-ખેતીની સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે સરકાર આ બાબતે ગંભીરતાથી કાર્યવાહી કરે તે જરૂરી છે.