Home Special કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતાં ખેડૂતો-પશુપાલકોની હાલત કફોડી બનશે !

કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતાં ખેડૂતો-પશુપાલકોની હાલત કફોડી બનશે !

573

કચ્છ-સૌરાષ્ટ્રમાં 30% ઓછો વરસાદ થતાં ખેડૂતો ચિંતિત છે.દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થયો છે,જ્યારે ઉત્તર ગુજરાતના દાહોદ-ખેડામાં હળવો વરસાદ પડ્યો છે.કચ્છ-સૌરાષ્ટ્રમાં પાણીની તંગી સર્જાવાની શક્યતા વર્તાઈ રહી છે.તે વચ્ચે ઠેરઠેરથી અછતગ્રસ્ત જાહેરતની માંગ ઉઠી છે.

વરસાદની ઘટની સ્થિતિમાં રાજ્ય સરકાર પશુપાલકો અને પશુધનની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.પ્રવક્તા મંત્રી જીતુ વાધાણીએ ગઇકાલે પત્રકાર પરિષદમાં આંકડાકીય માહિતી આપતા રાજ્યના 301 ગામોના 90,000 જેટલા પશુધન સુધી ઘાસચારો પહોંચાડવામાં આવ્યો હોવાનુ કહી અત્યાર સુધીમાં સફળતાપૂર્વક 16 લાખ કિલો ઘાસચારાનું વિતરણ પૂરું પાડીને પશુપાલકોને મોટી રાહત આપવામાં આવી હોવાનુ કહ્યુ હતુ સાથે વિજળી પાણીના આયોજન માટેની વાત કરી હતી. પરંતુ વાસ્તવિક સ્થિતીથી ખેડુતો પશુપાલકો ચિંતીત બન્યા છે. આ વર્ષે ચોમાસાની વર્તમાન સ્થિતિના આંકડાઓ પર નજર કરીએ તો,સમગ્ર રાજ્યમાં સરેરાશ વરસાદની 7% ઘટ પ્રવર્તી રહી છે. તેમાય કચ્છ-સૌરાષ્ટ્રમાં 30% જેટલી મોટી વરસાદી ઘટ જોવા મળી રહી છે,ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ પણ 30% વરસાદની મોટી ઘટ વર્તાઈ રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ અનુસાર, આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નથી. ભારે વરસાદની કોઈ સંભાવના લાગતી નથી, તેવામાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટને પગલે પાણીની તંગી સર્જાઈ તેવી શક્યતા છે. જેની સૌથી વધુ અસર ખેડૂતોને પડી શકે છે. આ સાથે કચ્છ-સૌરાષ્ટ્ર પાણીની સમસ્યા ઊભી થાય તેવી સંભાવના છે.ગુજરાતમાં ચોમસાનું આગમન થયાને 63 દિવસ વિતી ચૂક્યા છે. તેમ છતા 17 જિલ્લામાં હજી પણ 3 થી લઈ 87 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સૌથી ખરાબ હાલત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છની છે.ચોમાસાના બાકી રહેલા દિવસોમાં પણ જો વરસાદ ન વરસે તો ખેડૂતોની આવક પર આધારિત ગ્રામીણ અર્થતંત્રને પણ માઠી અસર પડી શકે.સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના ડેમમાં હજી પણ 50 ટકા કરતા ઓછો જળસંગ્રહ થયો હોય જો વરસાદ ન આવે તો આગામી દિવસોમાં આ જિલ્લાઓમાં પીવાના પાણીનો પ્રશ્ન પણ ઉભો થવાની ભીતિ છે.સૌરાષ્ટ્રમાં જ્યાં 50 ટકાથી વધુ ઘટ વર્તાઈ રહી છે. તેની સામે દક્ષિણ ગુજરાતમાં જરુર કરતા 30 થી 60 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.ગુજરાતમાં આ સિઝનમાં સૌથી હાઈએસ્ટ વલસાડમાં 108 ઈંચ વરસાદ વરસ્યો. તેની સામે દેવભૂમિ દ્વારકામાં 108 મિમી પણ વરસ્યો નથી. કચ્છમાં વરસાદ ખેંચાતા ધારાસભ્યોએ સરકારમાં રજુઆત કરી છે. ધાસ-પાણીની સ્થિતી અંગે સમિક્ષા બેઠકો યોજાઇ છે. પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડુતો અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.હવે કચ્છના ધરતીપુત્રોની નજર આકાશ તરફ છે.પરંતુ જો સમયસર વરસાદ નહી પડે તો ખેતી-પશુપાલનને મોટો ફટકો પડશે સાથે આગામી દિવસોમાં સમગ્ર કચ્છમાં પાણીની ગંભીર કટોકટ્ટી સર્જાવાની પણ શક્યતા છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારો સૂકા રહ્યા છે.

કચ્છમાં મેઘરાજા “રિસાતા” ખેતી-પશુપાલન પર સંકટ !

કચ્છમાં ચોમાસાની સીઝનમાં વરસાદની અનિયમિતતા અને નહિવત વરસાદના કારણે પશુપાલકોની મુશ્કેલી વધી.ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાતા ઘાસચારાની ગંભીર અછત સર્જાઈ હતી.સરકારે ૧૭થી ૩૧ જુલાઈ સુધી રાહત દરે ઘાસ વિતરણ કર્યું હતું.માંડવી, લખપત,અબડાસા સહિતના તાલુકાઓમાં પૂરતા વરસાદના અભાવે લીલા ઘાસચારાની અછત યથાવત.ઘાસચારાની અછત અને મોંઘવારીની સીધી અસર કચ્છના દૂધ ઉત્પાદનમાં જોવા મળી.સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં કચ્છમાંથી દૈનિક સરેરાશ ૫ લાખ લીટર જેટલું દૂધ ઉત્પાદન થતું હતું.આ વર્ષે દૂધ ઉત્પાદનમાં ૧ લાખ લીટરથી વધુનો ઘટાડો નોંધાયો.દૂધ ઉત્પાદનમાં ઘટાડાના કારણે પશુપાલકોની આવકને પણ મોટો ફટકો પડ્યો.જો આગામી સમયમાં પૂરતો વરસાદ નહીં થાય તો પશુપાલકોની મુશ્કેલી વધુ ગંભીર બનવાની ભીતિ સેવાઈ રહી છે. કચ્છના સરહદી એવા અબડાસા, લખપત અને નખત્રાણા પંથકમાં આ વર્ષે મેઘરાજાએ મોઢું ફેરવી લેતા ચોમાસું નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ ખેંચાતા ખેતરો સુકાઈ ગયા છે અને સીમમાં ઘાસચારો તેમજ પાણીની ભારે અછત સર્જાતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે. પશુધનને બચાવવું કેમ એ મોટો સવાલ બન્યો છે. કચ્છની ધરતી પર ચોમાસું જાણે રૂઠ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ઓગસ્ટ મહિનો અડધો વીત્યા બાદ પણ અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ ન થતાં ધરતીપુત્રો કાગડોળે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. સમયસર વરસાદ ન પડતાં ખેતી, પશુપાલન અને ગ્રામ્ય અર્થતંત્ર પર તેની સીધી અસર જોવા મળી રહી છે.તાજેતરના અહેવાલો મુજબ ૧૩ ઓગસ્ટ સુધી કચ્છમાં સરેરાશ વાર્ષિક વરસાદના માત્ર ૨૯.૨૭ ટકા જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદી વિરામ રહેતાં પાકની ચિંતા વધી છે. બાજરી, મગ, તલ સહિતના વરસાદ આધારિત પાકોને યોગ્ય સમયે ભેજ અને વરસાદ ન મળે તો પાકની વૃદ્ધિ અટકી શકે છે અને ખેડૂતની આખી મહેનત પાણીમાં જવાની ભીતિ ઊભી થાય છે. કચ્છમાં વિલંબિત અને અનિયમિત ચોમાસાને કારણે ખેતી સાથે પશુપાલન ક્ષેત્ર પણ મુશ્કેલીમાં મુકાયું હોવાના અહેવાલો છે.

રાજ્યમાં હાલમાં હવામાનની ત્રણ સિસ્ટમની અસર જોવા મળી રહી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર એરિયાનો સમાવેશ થાય છે.પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં સારા વરસાદની કોઇ શક્યતા વ્યક્ત કરાઇ નથી.તેવામાં સરકારે અનેક પગલા તો લીધા છે. પરંતુ કચ્છના ચુંટાયેલા પ્રતિનિધીઓ વધુ અસરકારક રજુઆત કરે તો કચ્છમાં પાણી પહેલા પાળ બાંધી શકાય તેમ છે.જો કે ખેડુતો-પશુપાલકોએ ચિંતા વ્યક્ત કરી છે. કે વરસાદ નહી પડે તો સ્થિતી વધુ બગળશે ત્યારે પુરતા ધાસ,પાણી તથા અસરગ્રસ્ત વિસ્તારો માટે અત્યારે મંથન થાય તે જરૂરી બન્યુ છે.