જખૌ પોલીસ અને ભુજ એસઓજીએ મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો અજાણ્યા પુરૂષનો મૃત્દેહ મળ્યા બાદ સીસીટીવી સર્વેલન્સ, ગુમ થયેલ માછીમારોની વિગત મેળવી ભેદ ઉકેલાયો
જખૌ નજીકથી એક અજાણ્યા પુરૂષની મેળલી લાશના મામલે તપાસમાં હત્યા થઇ હોવાનો ખુલ્લાસો થયો છે.ગત તારીખ ૦૫/૦૯/૨૦૨૬ના રોજ જખૌ ગામે ઓધવરામ ગેટ પાસે જખૌ-નલિયા રોડની બાજુમાં આવેલા બાવળની ઝાડીમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.ઘટનાની જાણ થતાં જ જખૌ પોલીસ સ્ટેશનની ટીમ અને SDPO મનિષા દેસાઈએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.પ્રાથમિક તબક્કે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.બનાવની ગંભીરતાને ધ્યાને લઈ SDPO મનિષા દેસાઈ દ્વારા જખૌ P.S.I.આર.જે.ગોહિલના નેતૃત્વમાં ૩ ખાસ ટીમો બનાવવામાં આવી હતી જેઓએ સીસીટીવી સર્વેલન્સ, જખૌ બંદર પરથી ગુમ થયેલ માછીમારોની વિગત મેળવી,સ્થાનિકો અને માછીમારો વચ્ચેના તાજેતરના ઝઘડાઓની તપાસ કરી હતી.આ દરમ્યાન પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતકના માથાના ભાગે ગંભીર ઈજાઓ મળી આવતાં આ બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયુ હતુ. જે બાદ પોલીસે તપાસ કરતા SOGના જોરાવરસિંહ જાડેજાને બાતમી મળી હતી.સાથે ફિશરીઝ ડિપાર્ટમેન્ટની ‘ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ’ની મદદથી શંકાસ્પદ ઈસમ હાજી જુમા સિદ્ધી (રહે.ગાંધીનગરી, ઓખા,દેવભૂમિ દ્વારકા) વિષે માહિતી મેળવાઈ હતી.સઘન પૂછપરછ દરમિયાન મૃતકની ઓળખ ઓસમાન ઉમર કેર (રહે. ગાંધીનગરી,ઓખા, દેવભૂમિ દ્વારકા) તરીકે થઈ હતી.જેથી આરોપીની પુછપરછ કરાઇ હતી.જે દરમ્યાન આરોપીએ ઝઘડા દરમિયાન મૃતક ઓસમાન ઉમર કેરના માથાના ભાગે પથ્થર વડે હુમલો કરી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.જખૌ પોલીસે SOGના સહયોગથી મુખ્ય આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં મનિષા દેસાઈ,આર.જે.ગોહિલ,જોરાવરસિંહ જાડેજા,નિર્મલસિંહ જાડેજા તથા જખૌ પોલીસનો સ્ટાફ જોડાયો હતો. સમગ્ર મામલે પોલીસે આજે ભુજમાં કેસની સિલસિલાબંધ વિગતો નલિયાના નાયબ પોલીસ અધિક્ષકે આપી હતી.
સમગ્ર કિસ્સામાં મૃત્ક દ્વારા આરોપીની બહેન વિષે કરાયેલી ટીપ્પણી હત્યાનુ કારણ બની હોવાની વિગતો સામે આવી છે. મૃત્ક તથા આરોપી લાંબા સમયથી મિત્રો હતા.પરંતુ નાનકડા ઝધડાએ ગંભીર રૂપ ધારણ કર્યુ હતુ. નવાઇ વચ્ચે આરોપી હત્યા બાદ માછીમારી પ્રવૃતિમાં જોડાઇ ગયો હતો. જો કે પોલીસને જાણકારી મળ્યા બાદ આરોપીને દરિયામાંથી પકડી પુછપરછ કરતા હત્યાની સિલસિલાબંધ વિગતો ખુલ્લી હતી.