મૂર્તદેહના બે ટુકડા કરી તળાવમાં ફેંક્વાના ચકચારી મામલે અંજાર પોલીસે આરોપી પકડ્યો મૃત્ક લખ્ખુભાઈ તેને આડાસંબધની જાણ થતા મારી નાખશે તેવા ડરથી આરોપીએ હત્યાની કબુલાત કરી
અંજાર:
અંજાર તાલુકાના વરસામેડી ગામમાં થોડા દિવસો પૂર્વે ગુમ થયેલા એક આધેડની નિર્મમ હત્યાનો ભેદ ઉકેલવામાં અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. અણનૈતિક સંબંધમાં પ્રેમીએ જ પ્રેમિકાના પતિની લોખંડના રોડના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ, ઓળખ છુપાવવા હેક્સો બ્લેડ વડે લાશના બે ટુકડા કરી કોથળામાં ભરી તળાવમાં ફેંકી દીધા હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. બનાવની વિગતે વાત કરીએ તો પોલીસ અહેવાલ અનુસાર,વરસામેડીના સરદાર આવાસ સોસાયટીમાં રહેતા લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલ (આહીર) (ઉં.વ. ૪૩) ગત તા. ૩૧ ઓગસ્ટના રોજ રાત્રે પોતાના ખેતરે ચોકી કરવા ગયા બાદ ઘરે પરત ફર્યા ન હતા.પરિવારજનોએ શોધખોળ કરવા છતાં પત્તો ન મળતા,ગત તા. ૧ સપ્ટેમ્બરના રોજ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ દર્જ કરાવવામાં આવી હતી.દરમિયાન, તા. ૫ સપ્ટેમ્બરના રોજ બપોરે વરસામેડી ગામના તળાવ કિનારેથી બે શંકાસ્પદ પ્લાસ્ટિકના કોથળા મળી આવ્યા હતા.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કોથળામાંથી માનવ શરીરના અલગ-અલગ ટુકડા મળી આવ્યા હતા,જે બાદમાં ગુમ થયેલા લખ્ખુભાઈ આહીરના હોવાનું સ્પષ્ટ થયું હતું.જે મામલે અંજાર પોલીસે તપાસ આંરભી હતી. અને પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસવડા સાગર બાગમાર અને DySP એમ.પી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર PI એચ.એ.જાડેજા તથા LCB PI જે.એમ. વાળાની ટીમોએ માનવ સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ આધારે તપાસ હાથ ધરી હતી.જે તપાસ દરમિયાન મૃતકની પત્ની સાથે નજીકમાં જ રહેતા દિનેશ રાયધણભાઈ ઠાકોર (ઉં.વ. ૩૫) નામના શખ્સને છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હોવાની માહિતી મળી હતી.પોલીસે શંકાસ્પદ દિનેશ ઠાકોરની ઉંડાણથી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી.આરોપી દિનેશ ઠાકોરે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે,પોતાના અને લખ્ખુભાઈની પત્ની વચ્ચેના સંબંધોની જાણ લખ્ખુભાઈને થઈ ગઈ હતી.લખ્ખુભાઈ તેને મારી નાખશે તેવા ડરથી,આરોપીએ ૩૧ ઓગસ્ટની રાત્રે લખ્ખુભાઈને પોતાના ઘરે કામ અર્થે બોલાવ્યા હતા.વાતચીત દરમિયાન પાછળથી લોખંડના રોડ વડે માથામાં ૨-૩ ઘા ઝીંકી તેમની હત્યા કરી નાખી હતી.હત્યા કર્યા બાદ લાશ ઉપાડી શકાય તેમ ન હોવાથી ગભરાયેલા આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવા મૃતકનો ફોન હાઈવે નજીક ફેંકી દીધો હતો. ત્યારબાદ ઘરમાં રહેલી હેક્સો બ્લેડના ટુકડા વડે મૃતદેહના બે ટુકડા કરી,તેને અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરીને રાત્રિના સમયે તળાવમાં ફેંકી દીધા હતા.અંજાર પોલીસે આરોપી દિનેશ રાયધણભાઈ ઠાકોર (મૂળ રહે. પલાસવા,તા. રાપર) વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવ સંદર્ભે પુર્વ કચ્છ પોલીસવડાએ પત્રકાર પરિષદનો સંબોધી સિલસીલાબંધ વિગતો જાહેર કરી હતી.