Home Current મને પણ કચ્છીમાડુઓ ની જેમ વર્ષમાં એક વાર કચ્છ આવ્યા વગર ચેન...

મને પણ કચ્છીમાડુઓ ની જેમ વર્ષમાં એક વાર કચ્છ આવ્યા વગર ચેન નથી પડતું : નરેન્દ્ર મોદી

4997
અંજાર માં દેશ ના ચોથા LNG ગેસ ટર્મિનલ નું રાષ્ટ્ર ને લોકાર્પણ કરતી વેળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ સરકારો ઉપર વરસ્યા હતા તો ચાર વર્ષમાં પોતાની સરકારે કરેલી કામગીરીનો જાહેર હિસાબ આપતા એ બતાવી દીધું હતું કે ૨૦૧૯ ની લોકસભા ની ચૂંટણી માટે તેઓ તૈયાર છે. આજે ૬૦૦૦ કરોડ ના પ્રકલ્પ નું ઉદ્ઘાટન કરતી વેળાએ તેમણે જણાવ્યુ હતું કે તેમની સરકાર દેશના વિકાસ માટે તત્પર છે. ૫૦૦૦ કરોડનું LNG ટર્મિનલ દેશ ના વિકાસ માટે ચાવીરૂપ બનશે. ગુજરાતનો દરિયા કિનારો દેશની સમૃદ્ધિ નું પ્રવેશદ્વાર બન્યું છે. આગળના મુખ્યમંત્રીઓ કે પ્રધાનમંત્રીઓ કરતા હું નસીબદાર છું કે મારા સમયગાળામાં દેશના આ ચોથા અને ગુજરાતના ત્રીજા LNG ટર્મિનલ નું ઉદ્ઘાટન મારા દ્વારા થઈ રહ્યું છે. આવનારી યુવા પેઢી માટે ગેસની ઈંધણ ઉર્જા અને ઓપ્ટિકલ ફાઇબર જરૂરિયાત બની છે. ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબન દ્વારા જ દેશનો વિકાસ શક્ય બનશે. પોતાની સરકાર દ્વારા થયેલ ચાર વર્ષની.કામગીરીનો હિસાબ આપતા વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતું કે,શૌચાલય, રાંધણગેસ કનેક્શન, આયુષ્યમાંન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના એમ દરેક ક્ષેત્રે ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ સુધી તેમની સરકાર પહોંચી છે. હું મુખ્યમંત્રી હતો ત્યારે ભૂકંપ પછી જ્યારે જ્યારે કચ્છ આવતો હતો ત્યારે હમેશાં કહેતો કે ક કચ્છ નો ક, ખ ખમીર નો ખ, આજે કચ્છના ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન ક્ષેત્રે થયેલો વિકાસ જોયા પછી દેશ અને દુનિયાએ પણ મારી એ વાત ને માન્યતા આપી છે કે ક કચ્છનો ક, ખ ખમીરનો ખ. હવે પ્રવાસન ક્ષેત્રે કચ્છના વિકાસ માટેની નવી યોજનાઓ અમે લાવીશું. વીજ ઉર્જાક્ષેત્રે થઈ રહેલા ૨૯ કરોડના નવા આયોજનો અંગે તેમણે જણાવ્યું હતું કે, કચ્છ જેવા અંતરિયાળ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં હવે વિજકાપ એ ભૂતકાળ બની ગયો છે. વીજ ઉર્જા ક્ષેત્રે ગુજરાત સ્વાવલંબી બન્યું છે. જેમ કચ્છી માડુઓ દેશ કે દુનિયામાં કયાંયે પણ રહેતા હોય પણ જેમ તેમને વર્ષમાં એકવાર વતન કચ્છ માં આવ્યા વગર ચેન પડતું નથી તેમ મને પણ વર્ષમાં એકવાર કચ્છ આવ્યા વગર ચેન પડતું નથી એવું કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત હજારોની જનમેદની ના દિલ જીતી લીધા હતા. વારંવાર લોકોએ મોદી મોદી ના સૂત્રોચ્ચાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેના તેમના ક્રેઝ ને પ્રદર્શિત કર્યો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત આજે નેચરલ ગેસ ક્ષેત્રે દેશનુ કેપિટલ બન્યું છે. આ LNG ટર્મિનલ ના કારણે કચ્છ સૌરાષ્ટ્રના ઉદ્યોગો અને રસોઈ વપરાશ ક્ષેત્રે મોટો ફાયદો થશે. મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે CNG વપરાશમાં ગુજરાત દેશમાં અગ્રીમ છે. ૨૫ હજાર કિલોમીટર ની લાંબી લાઇન દ્વારા રાજ્યના ૯૦૦ ગામો માં CNG ગેસ પાઇપલાઇન દ્વારા ઘેર ઘેર પહોંચે છે. ૪૭૫ CNG પમ્પ ગુજરાતમાં છે. હવે ગુજરાત LNG ક્ષેત્રે દેશ નું પ્રવેશદ્વાર બન્યું છે, અહીંથી ગેસ છેક પંજાબ અને રાજસ્થાન પહોંચે છે.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે દેશ ના ૪ મોટા આવા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ પૈકી ૩ ગેસ પ્રોજેક્ટ ગુજરાતમાં છે એટલે હવે ગુજરાત ઈંધણ ક્ષેત્રે હવે દેશમાં અગ્રીમ બન્યું છે.

જાણો કઈ રીતે હવે ગેસ પાઇપલાઇન દ્વારા નાના ઉદ્યોગોની સાથે ઘરના રસોડા સુધી પહોંચશે?

મુંદરા અદાણી સેઝ મા GSPL દ્વારા ઉભા કરાયેલ LNG ટર્મિનલ મા થી R-LNG સ્વરુપમાં આ ગેસ ૬૭ કિલોમીટર ની લાંબી પાઇપલાઇન દ્વારા અંજારના રાતા તળાવ સુધી પહોંચશે. આ માટે સરકારી કંપની GSPL દ્વારા ૩૬૭ કરોડ ₹ નો ખર્ચ કરાયો છે. આ પ્રોજેક્ટ ગુજરાતની ઉર્જા ક્ષેત્ર માટેની બળતણ માટે જરૂરી ગેસ ની જરૂરિયાત પૂરી કરશે. ઉપરાંત રાષ્ટ્ર ની ગેસ ગ્રીડ સાથે પણ આ R-LNG પાઇપલાઇન જોડાશે. ખાસ કરીને LNG ટર્મિનલ અને પાઇપલાઇન ના નેટવર્ક દ્વારા તેને ગુજરાત,રાજસ્થાન અને પંજાબ સુધી વિતરણ કરવાની વ્યવસ્થા ને કારણે લઘુ ઉદ્યોગો માટે ગેસ ઉર્જાનો વપરાશ સરળ બનશે. તો, CNG ફોર્મેટ મા આ ગેસ ઘેર ઘેર પહોંચશે જે રસોઈ કામ માટે ના ઉપયોગ મા કામ આવશે.આ કાર્યક્રમ મા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલ, કચ્છના પ્રભારીમંત્રી દિલીપ ઠાકોર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, કચ્છ ભાજપ ના પ્રભારી બીપીન દવે ઉપસ્થિત રહ્યા હતા.એમએમટીપીએ એલએનજી, મુંદરા જીએસપીસી એલએનજી લીમીટેડ અને અંજાર-મુંદરા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેકટ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લી.,અને પાલનપુર-પાલી-બાડમેર ગેસ ટ્રાન્સમિશન પ્રોજેકટ (જીએસપીએલ ઇન્ડિયા ગેસનેટ લી.)નું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાયું હતું. એલએનજી ટર્મિનલની મંજૂર થયેલ પ્રોજેકટ કિંમત રૂ. ૫૦૪૧ કરોડ છે, જે ગુજરાતમાં ત્રીજું ઓપરેશનલ એલએનજી ટર્મિનલ છે. આ ઉપરાંત ગેટકોના ૬૬ કે.વી. ડીસી-પ સબ સ્ટેશન ગાંધીધામ, ૬૬ કે.વી.બંદરા નાના સબ સ્ટેશન, ૬૬ કે.વી.ખારોઇ સબ સ્ટેશન, ભચાઉ તથા નવી ગેટકો વર્તુળ કચેરી, તા. અંજારની લોકાર્પણવિધિ તેમજ ૬૬ કે.વી.રાતાતળાવ(સાપેડા) સબ-સ્ટેશન, અંજારની ભૂમિપૂજનવિધિ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે કરાઈ હતી.