ખાવડા અને અબડાસામાં સપાટો, રૂ. ૩.૭૫ કરોડનો મુદ્દામાલ જપ્ત ખાવડામાં ભુજ પ્રાંત અધિકારીનું સરપ્રાઇઝ ચેકિંગ: રોયલ્ટી વિના ઓવરલોડ દોડતા ૭ વાહનો સીઝ (રૂ. ૧.૭૫ કરોડનો મુદ્દામાલ) કબ્જે અબડાસાના કેરવાંઢ-વડસર વિસ્તારમાં દરોડામાં ૪ ડમ્પર અને ૨ એક્સકેવેટર મશીન સાઇટ (રૂ. ૨ કરોડનો મુદ્દામાલ) જપ્ત
કચ્છ જિલ્લામાં બેફામ બનેલા ગેરકાયદેસર ખનન અને ખનીજની બિનઅધિકૃત હેરફેર સામે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. ભુજ અને અબડાસા તાલુકામાં અલગ-અલગ બે મોટી કાર્યવાહી હાથ ધરીને તંત્ર દ્વારા કુલ ૮ ડમ્પરો/ટ્રકો અને ૨ એક્સકેવેટર મશીનો મળીને અંદાજિત રૂ. ૩ કરોડ ૭૫ લાખનો જંગી મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા ખનિજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.વિગતે વાત કરીએ તો ખાવડા પંથકમાં ભુજ પ્રાંત અધિકારીએ કડક કાર્યવાહી કરતા ગેરકાયદે ખનીજ વહન પર અંકુશ લાવવા સવારે ખાવડા ગામ નજીક આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ચેકિંગ દરમિયાન ખનીજનું વહન કરતા ઓવરલોડ અને રોયલ્ટી પાસ વિનાના ૭ જેટલા ટ્રકો ઝડપાયા હતા. વાહનચાલકો પાસે કોઈ માન્ય દસ્તાવેજો ન મળતા તંત્ર દ્વારા ખનીજ અને વાહનો સહિત કુલ રૂ. ૧ કરોડ ૭૫ લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.જપ્ત કરાયેલા તમામ વાહનોને દંડ વસૂલવા અને કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત વિભાગને સોંપવામાં આવ્યા છે.બીજી તરફ અબડાસામાં માટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું જેમાં પશ્ચિમ કચ્છના ભૂસ્તરશાસ્ત્રી બારીયાના નેતૃત્વમાં ખાણ-ખનીજ વિભાગની વિશેષ તપાસ ટીમે અબડાસા તાલુકાના કેરવાંઢ-વડસર વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું.અહીં સાદી માટીનું ગેરકાયદેસર ખનન અને પરિવહન થતું હોવાનું સામે આવતા ૪ ડમ્પર અને ૨ એક્સકેવેટર મશીનો ઘટનાસ્થળેથી ઝડપી લેવાયા હતા. રોયલ્ટી પાસના અભાવે આશરે રૂ. ૨ કરોડની કિંમતના આ વાહનો અને મશીનરી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી માટે વાયોર પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ખાણ ખનિજ કચેરી દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે,ખનીજ ચોરી અને નિયમોના ઉલ્લંઘન સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવાઈ છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી અવિરત ચાલુ રહેશે.તાજેતરમાં ધારાસભ્ય સાથે જોડાયેલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જો કે તંત્રીની આ કામગીરી વચ્ચે ચોક્કસ વિસ્તારમાં ખનીજ ચોરી બેફામ થતી હોવાની વાતો પણ સામે આવી રહી છે. તો ચોક્કસ ખનિજ ચોરીના હબ ગણાતા વિસ્તારમાં કડક અને અસરકારક કામગીરી માટે તંત્રના હાથ ન પહોચતા હોવાની વાતો પણ વહેતી થઈ છે. જો કે તંત્રની કડક કાર્યવાહી વચ્ચે ખનીજ ચોરી સંપૂર્ણ બંધ નથી તે પણ એટલી જ વાસ્તવિકતા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર કચ્છમાં એક દાયકાથી અવિરત થતી ખનીજ ચોરી પર સંપૂર્ણ ક્યારે અટકાવી શકે છે..જો કે ભ્રષ્ટાચાર થી ખદબદતા વિભાગ માટે આમ કરવું અશક્ય છે પરંતુ કલેક્ટર દ્વારા સતત આવી કામગીરી કરાતા લોકો ને કંઈક સારું થશે એવી આશા છે……




