ભુજ શહેર પ્રમુખ સહિતના નેતાઓ વિરોધ ખુલ્લા પોસ્ટર મુકવાના ચકચારી મામલાના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં હવે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના પ્રદેશ નેતાઓને લખાયેલો પત્ર વાયરલ થતા ચકચાર….પુર્વ નગરસેવક અને તેના પુત્ર સામે ગંભીર આક્ષેપ સાથેની અરજી થઇ વાયરલ
ભુજમાં ભાજપ માટે એક સાંધો ત્યા તેર તુટે જેવી સ્થિતી સર્જાઇ છે. પહેલા ઉમેદવારની પસંદગી અને ટીકીટ ફાળવણીને લઇને વિવાદ અને ત્યાર બાદ પરિણામો પણ સારા ન આવ્યા જે પછી સતત ભાજપનો ભુજમાં આંતરીક વિખવાદ સામે આવી રહ્યા છે. આમતો કચ્છની અનેક પાલિકામાં ટિકિટ ફાળવણીથી લઈ ઉમેદવારની પસંદગી અને ત્યાર બાદ ચૂંટણીમાં થયેલા વિખવાદો ખુલી ને સામે આવી રહ્યા છે.પણ ખાસ કરીને ભુજમાં ભાજપ માટે સારા પરિણામ ન આવતા કોંગ્રેસ અને નવા ઉભરી રહેલા પક્ષોએ ભાજપનું ગણિત બગાડ્યું છે.ભલે સત્તા ભાજપની આવી છે. પણ રાજકીય વિખવાદ હજુ શમ્યો નથી.પહેલા ભુજ શહેર પ્રમુખ સહિતની ટીમ તથા કેટલાક ઉમેદવારની પસંદગીના કારણે નારાજ ભાજપના સભ્ય અને હારેલા ઉમેદવાર ખૂલીને સામે આવી ગયા જે વિવાદ હજી માંડ શાંત થયો છે.ત્યાં હવે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ અને પ્રદેશના તથા કચ્છના નેતાઓને લખાયેલો એક પત્ર વાયરલ થયો છે.જેમાં ભાજપના જુના આગેવાનો સામે ગંભીર આક્ષેપ સાથે કાર્યવાહિની માંગ કરાઈ છે.જિલ્લા ભાજપ પ્રમુખને કરાયેલી રજૂઆતમાં ભુજ નગરપાલિકાની વોર્ડ નંબર ૧, ૨, ૩ અને ૫ માં પૂર્વ નગરસેવક અને મુસ્લિમ અગ્રણી ઇસ્માઇલ માંજોઠી અને તેના પુત્ર અને પૂર્વ નગરસેવક હનીફ માંજોઠી સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.રજુઆત અનુસાર,કેટલાક વિસ્તારોમાં ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે જ પ્રચાર કરવામાં આવ્યો હતો તેમજ અન્ય પક્ષના ઉમેદવારોને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનો દાવો આ પત્રમાં કરાયો છે.તો માંજોઠી પરિવાર દ્વારા કોંગ્રેસ સાથે સાંઠગાંઠ કરીને ચૂંટણીમાં પક્ષને નુકસાન પહોંચાડવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.સાથે જ મતદાનના દિવસે પણ મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ, બેઠક ગોઠવણો અને વિરોધી ઉમેદવારોને ટેકો આપવાની પ્રવૃત્તિઓ થઈ હોવાનો ઉલ્લેખ રજૂઆતમાં કરાયો છે. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ પાસે યોગ્ય તપાસ કરીને પક્ષ વિરોધી કાર્ય કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.ફરિયાદમાં આક્ષેપ મુજબ વોર્ડ નંબર પાંચમાં મજબૂત દાવેદાર નુસરત લાહેજી જે (ઇમરાન પરમાર) ની ટિકિટ કાપી વોર્ડ નંબર 6 માં અન્ય મુસ્લિમ અગ્રણીની પુત્રી ને ટિકિટ આપી દેવાઈ તો ધાલા કુંભારને ટિકિટ ન મળે તે માટે થયેલ કામગીરીનો ઉલ્લેખ પત્રમાં કરાયો છે અરજીમાં આક્ષેપ કરાયો છે કે ચૂંટણીમાં પોતાના રાજકીય કદ વધારવા અને અન્ય મુસ્લિમ અગ્રણીનુ કદ ઘટાડવા માટે અનેક કાર્યો કરાયા જેમાં હિંગોરજા સમાજના કેટલા આગેવાન અને ખરાબ ભૂતકાળ ધરાવતા લોકોના નામ સાથે ચૂંટણી દરમ્યાન તેમણે ભજવેલ ભૂમિકાનો ઉલ્લેખ આ પત્રમાં કરાયો છે. સાથે ભાજપને લઘુમતી વિસ્તારમાં નુકશાન પહોંચાડવાનો આરોપ પણ છે.તો પાર્ટીના આગેવાનને સંબોધી લખાયેલા પત્રમાં દાવો પણ કરાયો છે કે અગાઉની વિધાનસભામાં માંજોઠી પરિવાર દ્વારા મતદાન માટે કેટલા પ્રયત્ન કરાયા તેના આંકડા જોવામાં આવે જેથી તેમની કામગીરી સ્પષ્ટ થાય આ સાથે આરએસએસ સાથે થયેલી ગુપ્ત બેઠક, સાથે પાર્ટીને આગામી ૨૦૨૭ ની વિધાનસભા ને ધ્યાને રાખી આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરાઇ છે.તો ભાજપના આ બે નેતાઓના મુસ્લિમ અગ્રણી સાથેના સંબંધના પુરાવા આપવાનો પણ દાવો પત્રમાં કરાયો છે સાથે ભાજપ આગેવાનના ઘરે કોગ્રેસના લોકોની મિટિંગ અંગે પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
વાયરલ પત્ર મામલે જાણો કોણે શુ કહ્યુ……
આમતો તાજેતરમાં પોસ્ટથી લઇ અનેક વિવાદો ભાજપમાં સામે આવી રહ્યા છે ત્યારે પત્ર અંગે અંબાલાલ પટેલનો સંપર્ક કરાતા તેણે પાર્ટીને પત્ર લખ્યો હોવાનુ કહી હવે પાર્ટી જે કરે તે તેવો ખુલાસો કર્યો હતો. તો અરજી કર્તામાં ભાજપના અન્ય એક આગેવાન કાસમ કુંભાર(ધાલા) નો સંપર્ક કરતા તેઓએ પહેલા ફોન ઉપાડ્યો હતો પરંતુ બાદમાં કોઇ જવાબ દેવાનુ ટાળી ફોન બંધ કરી દીધો હતો. પત્રમાં અન્ય મુસ્લિમ અગ્રણી સહિત અન્ય લોકોની પણ સહિ છે. જો કે આ તમામ આક્ષેપો જેના પર છે તે પરિવાર દાયકાથી આ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે ત્યારે આવા ગંભીર આક્ષેપો અંગે જ્યારે હનિફ માંજોઠીનો સંપર્ક કરાયો તો તેઓએ આવો કોઇ પત્ર લખાયો તેવુ તેના ધ્યાને આવ્યુ નથી. પરંતુ તેનો પરિવાર વર્ષોથી ભાજપની સાથે વફાદાર રહ્યો છે. અને પાર્ટી માટે હજુ પણ તેઓ કામ કરી રહ્યા છે. અને કરતા રહેશે તેમ કહ્યુ હતુ. જો કે સમગ્ર મામલે રાજકીય વર્તુળોમાં આ રજૂઆતને લઈને હવે પક્ષ દ્વારા શું પગલાં લેવામાં આવે છે.તેના પર નજર મંડાઈ છે.આ પત્રમાં વિવિધ વોર્ડના અગ્રણીના નામનો પણ ઉલ્લેખ કરાયો છે….ત્યારે જોવું રહ્યું પોસ્ટર બોંબ પછી હવે ભાજપમાં ફૂટેલા આ લેટર બોંબના કેવા પડઘા પડે છે કે પછી અંબાલાલ ના કિસ્સામાં જેમ ઘીના ઠામમાં ઘી પડી ગયું તેમ પડે છે…
અન્ય એક પોસ્ટ પણ ચર્ચામાં
ભુજ શહેર ભાજપ પ્રમુખ વિરૂધ્ધ વાયરલ થયેલા પોસ્ટરો વચ્ચે ભુજની એક સરકારી જમીન પર ઉભા કરાયેલા ટાવરને લઇને એક પોસ્ટ વાયરલ થઇ છે. જેમાં પણ અંગુલિનિર્દેશ માંજોઠી પરિવાર તરફ કરાયો હોવાનુ ચર્ચાય છે. જે પોસ્ટ ભાજપનાજ હારેલા ઉમેદવાર અંબાલાલે સ્ટેટસમાં પણ મુકી હતી જો કે બાદમાં તેને હટાવી દેવાઇ હતી. પંરતુ આ પોસ્ટના મુળ સુધી પહોચવાના પણ પ્રયત્નો કરાઇ છે.જો કે ભાજપનાજ આંતરીક મામલાઓ ખુલ્લા પાડવામાં કોની શુ ભુમિકા છે. તેના અંગે પણ પક્ષ અંદરખાને તપાસ કરી રહ્યુ હોવાનુ સુત્રોએ ઉમેર્યુ હતુ.

કોંગ્રેસમાં જોવા મળતો કકળાટ આ વખતે ભાજપમાં વધુ જોવા મળી રહ્યો છે.અને ખુલી ને સામે પણ આવી રહ્યો છે અનેક ફરિયાદો અને આક્ષેપો વચ્ચે હજુ સુધી પક્ષ વિરોધી પ્રવુતિ કે અન્ય મામલે ભાજપે કોઈ કાર્યવાહી કરી નથી કે કોઇ તપાસ કરી હોય તેનો પણ ખુલાસો જીલ્લાના આગેવાનોએ કર્યો છે. પરંતુ સામે આવેલા મામલા પ્રદેશ સુધી પહોંચ્યા છે તેવામાં હવે ગંભીર આક્ષેપ સાથીનો લેટર ભાજપમાં નવો ભડકો કરશે…પૂર્વ અને વર્તમાન આગેવાનોના નામ સાથે લખાયેલા આ લેટર આગામી સમયમાં શું જવાજુની કરે છે તેના પર બધાની નજર રહશે….