Home Social માધાપરના મેજીરાઈ તળાવમાં મોટા માથા ઝેરી કેમિકલ ઠાલવ છે….!

માધાપરના મેજીરાઈ તળાવમાં મોટા માથા ઝેરી કેમિકલ ઠાલવ છે….!

1223

જાગૃત નાગરીક અને કોગ્રેસી અગ્રણીની રજુઆત બાદ માધાપરના મેજીરાઈ તળાવમાં ઝેરી કેમિકલ ઠાલવવા અને દબાણ કરવા સામે કલેક્ટરે તપાસ પ્રાંત અધિકારીને સોંપવાનો આદેશ કર્યો પર્યાવરણ સરક્ષંણ અને પ્રકૃતિને વરેલા અગ્રણીની વેપારી સંસ્થા પર ગંભીર આક્ષેપ પુરાવા સાથે થતા અનેક તર્કવિતર્ક તપાસ પર સૌની મીટ મંડાઇ..!

માધાપર:

માધાપર (જૂનાવાસ) સ્થિત પરંપરાગત મેજીરાઈ તળાવના આવ-ક્ષેત્ર પર ગેરકાયદેસર દબાણ કરવા તેમજ ચાઇના ક્લે વોશ કર્યા બાદ નીકળતું ઝેરી કેમિકલયુક્ત પાણી તળાવમાં ઠાલવી પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ દલિત એક્ટિવિસ્ટ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ધીરજ ગરવા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.ધીરજ ગરવાએ કલેક્ટર,નાયબ કલેક્ટર તથા ભુજ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી આરોપ લગાવ્યો છે કે,જી.આઈ.ડી.સી. માધાપર ખાતે આવેલી ‘શ્રી રામ ગ્રુપ ઓફ મિનરલ્સ’ અને તેના સંચાલકો દ્વારા તળાવની જમીન પર દબાણ ઊભું કરવામાં આવ્યું છે.ફેક્ટરીમાંથી નીકળતા ઝેરી કેમિકલ,દૂષિત જળ અને કેમિકલ ડસ્ટ સીધા તળાવમાં છોડવામાં આવી રહ્યા છે,જેના કારણે પરંપરાગત જળસ્ત્રોતનો નાશ થઈ રહ્યો છે અને પશુ-પક્ષીઓ તેમજ માનવ જીવન સામે ગંભીર જોખમ ઊભું થયું છે.આ રજૂઆત સાથે ધીરજ ગરવા દ્વારા સ્થળ પરના જીઓટેગ આધારિત ફોટોગ્રાફ્સ પણ કલેક્ટર કચેરીમાં રજૂ કર્યા હતા. જેમાં કંપની દ્વારા વરસાદી પાણીની આવ રોકીને કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ અને ઝેરી પાણી છોડવાની પ્રવૃત્તિ સ્પષ્ટપણે જોઈ શકાતી હોવાનો દાવો કર્યો હતો.રાજકીય વગ અને પૈસાના જોરે પર્યાવરણનું નિકંદન કાઢતા સ્થાપિત હિતો સામેની આ લડાઈ લોકહિત અને પર્યાવરણના રક્ષણ માટે હોવાનુ તથા તળાવને મુક્ત કરાવી દોષિતો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવુ ધીરજ ગરવાએ ઉમેર્યુ હતુ. આ પહેલા આજ જાણીતા દાનવીર તથા ગો સેવા અને ખેતીમાં જેનુ મોટુ નામ છે.તેવા સમાજ સેવકની મંગલ ગ્લોબલ ચાઇના કલે કંપનીમાં રહસ્યમય મોતો તથા શ્રમિકોના આરોગ્ય બાબતે બેદરકારી સહિતના આક્ષેપો સાથે આયોગમાં અરજી કરાઇ હતી. તેવામાં હવે આજ અગ્રણીઓને સાંકળતી વેપારી પેઢી સામે ગંભીર આક્ષેપો સાથે તપાસના આદેશ અપાતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

કલેક્ટર દ્વારા તપાસના આદેશ

અગાઉ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગરના કેસ અન્વયે કલેક્ટર દ્વારા જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૩૮ હેઠળ મેજીરાઈ તળાવ (સર્વે નં. ૫૬૮ પૈકી, ૩.૭૦.૬૬ હેક્ટર) સહિત ભુજ આસપાસના ૨૧ તળાવોને ‘સીમ તળાવ’ તરીકે નીમ કરવાનો હુકમ કરાયો હતો. આ નીમ થયેલા તળાવમાં દબાણ અને પ્રદૂષણ ફેલાવવાની ગંભીર બાબતને ધ્યાને લઈ કલેક્ટરે ભુજ પ્રાંત અધિકારી જાદવને સમગ્ર મામલે ત્વરિત તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા આદેશ કર્યો છે. જો કે હવે તપાસમાં શુ સત્ય સામે આવે છે. તેના પર નજર રહેશે

ગૌ-સેવા અને પ્રાકૃતિક ખેતી સહિતના વિષયમાં જેમનુ મોટુ નામ છે. તેનીજ વેપારી સંસ્થા પર ગંભીર આક્ષેપો સાથે પર્યાવરણને નુકશાન પહોંચાડાતુ હોવાના ગંભીર આરોપ લાગતા સભ્ય સમાજમાં આ વિષયને લઇને ભારે ચર્ચા છે. તેવામાં આવી ફરીયાદોમાં શુ સત્ય સામે આવે છે.તે જોવુ રહ્યુ….જો કે પ્રાથમીક ફરીયાદ બાદ તપાસના આદેશ અને મામલો પુરાવા સાથે રજુ થતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.