Home Social ગાંધીધામમાં બેઘર પરિવારોનો આક્રોશ ભુજ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો !

ગાંધીધામમાં બેઘર પરિવારોનો આક્રોશ ભુજ કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો !

1066

છત છીનવાયા પછી ૫૫ દિવસનો સંઘર્ષમાં મકાનો તૂટ્યા પછી ખુલ્લા આકાશ નીચે દિવસો વિતાવતા ગરીબ પરિવારોનો ન્યાય માટે પોકાર ગાંધીધામથી ભુજ સુધી પગપાળા પ્રયાણ કરી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરાયો પીએમ આવાસ યોજના હેઠળ ઘર આપવાની માંગણી સાથે ઉગ્ર આંદોલનની ચીમકી
ભુજ:
વિકાસના નામે જ્યારે ગરીબોના આશિયાના ઉખડી જાય છે,ત્યારે પાછળ શું બચે છે? જવાબ છે માત્ર અસહાય આંસુ,અનિશ્ચિત ભવિષ્ય અને ન્યાય માટેની લાંબી લડાઈ.કચ્છના ગાંધીધામ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ અંદાજે હજારો ગરીબ પરિવારોના કાચા મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ આજે આ પરિવારો માટે દરેક દિવસ અગ્નિપરિક્ષા સમાન બની ગયો છે. છત વગરના બનેલા આ લોકો છેલ્લા ૫૫ દિવસથી ગાંધીધામ મહાનગરપાલિકા સામે ધરણા પર બેઠા છે,છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી.આખરે અવાજ દબાઈ જતો જોઈને આ પીડિતોએ ગાંધીધામથી ભુજ સુધી પગપાળા કૂચ કરી કચ્છ કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો.છેલ્લા ૫૫ દિવસથી ચાલી રહેલી રજૂઆતોનું કોઈ પરિણામ ન આવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ગાંધીધામથી ભુજ તરફ નિકળેલી આ હિજરતે તંત્ર સામેનો વિરોધ વધુ ઉગ્ર બનાવ્યો છે ભુજ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને મહિલાઓ અને પુરુષોએ પોતાની વેદના ઠાલવી હતી અને તાત્કાલિક આવાસ યોજના હેઠળ અરજીઓ સ્વીકારી મકાનો બનાવી આપવાની માંગ કરી હતી.તંત્રએ કાચા મકાનો તોડીને અનેક લોકોને રસ્તા પર લાવી દીધા છે.ઠંડી, ગરમી અને વરસાદમાં બાળકો સાથે ખુલ્લા આકાશ નીચે કેવી રીતે જીવવું? જો સરકાર કે તંત્ર દ્વારા જલ્દીથી યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે,તો આંદોલન વધુ ઉગ્ર બનશે અને ભુજના જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે ચક્કાજામ કરવાની ફરજ પડશે.તેવુ સામાજીક આગેવાન અને લડતની આગેવાની કરનાર લખન ધુવાએ જણાવ્યુ હતુ. તો અમારે ક્યાં જવું? સાહેબો મોટી મોટી યોજનાઓની વાતો કરે છે,પરંતુ અમારા સુધી તેનો લાભ કેમ નથી પહોંચતો? ઘર વગર અમારું જીવન અંધકારમય બની ગયું છે, અમને ન્યાય જોઈએ તેવુ પીડિત પરિવારોએ જણાવી ન્યાયની માંગણી કરી હતી.ઘરવિહોણા પરિવારોની આ દર્દનાક સ્થિતિ અને પગપાળા પ્રયાણ બાદ હવે પ્રશાસન પર દબાણ વધ્યું છે.જો વહેલી તકે આ પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા કે પીએમ આવાસ યોજના અંતર્ગત પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે,તો આંદોલન ઉગ્ર રૂપ ધારણ કરી શકે છે જેની ગંભીર નોંધ તંત્રએ લેવી જ પડશે.આ તરફ જીલ્લા કોગ્રેસે પણ સ્થાનીક તંત્ર અને સરકારે પાસે આ પરિવારોને ન્યાય અપાવવા અને યોગ્ય કાર્યવાહી માટેની માંગ કરી છે.

૫૫ દિવસથી ધરણા, છતાં પરિણામ શૂન્ય

પીડિત પરિવારોનું કહેવું છે કે તેમની પાસે રહેવા માટે અન્ય કોઈ જગ્યા નથી અને તેઓ અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવન વિતાવે છે.સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબો માટે આશીર્વાદ સમાન હોવી જોઈએ,પરંતુ ગાંધીધામ શહેરમાં અત્યાર સુધી આ યોજના હેઠળ એકપણ મકાન બન્યું ન હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.મહાનગરપાલિકા પાસે પોતાની માલિકીની જમીન નથી તેવું બહાનું આગળ ધરીને તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે,ત્યારે સ્થાનિકોએ બે સ્પષ્ટ વિકલ્પો પણ સૂચવ્યા છે અને કંડલા પોર્ટ ઓથોરિટી દ્વારા જુદા જુદા હેતુઓ માટે ફાળવાતી જમીનમાંથી ૫૦ એકર જમીન મહાનગરપાલિકાને ફાળવવામાં આવે.અથવા ગાંધીધામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ સરકારી ગૌચર કે પડાણ જમીનમાંથી ૫૦ એકર જમીન આવાસ માટે ફાળવવામાં આવે…

કચ્છમાં દબાણનો મુદ્દો થોડા સમયથી ગરમાયેલો છે એક તરફ ભુજમા દબાણો હટાવવા મુદ્દે સામાજીક અગ્રણીએ આજે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ પોતાની છત મેળવવા માટે ગરિબ પરિવારોએ 50 કિ.મીનો સંધર્ષ કરી કલેકટર કચેરીમાં ધરેવા કરી ન્યાયની માંગ કરી છે. ત્યારે જોવુ રહ્યુ..તંત્ર આ મામલે શુ યોગ્ય કાર્યવાહી કરે છે. જો કે ત્યા સુધી વિરોધ યથાવત રહેશે..