
તંત્ર પાસે કંપની સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ સાથે તંત્ર સામે પણ રજુઆત કરતાએ ગંભીર સવાલો ઉભા કર્યા કલેકટરના તપાસના આદેશ વચ્ચે લાજવાને બદલે તળાવમાં ઝેરી સિલિકાનો મોટો જથ્થો ઠાલવી ઉદ્યોગગૃહ રીતસરનુ તંત્રને પડકાર ફેંકી રહ્યુ છે……
ભુજ,
કચ્છમાં તળાવોની ઉપેક્ષા એ કોઇ નવી વાત નથી.કચ્છના પાટનગર ભુજમાં જ હમિરસર અને દેશલસર તળાવની ઉપેક્ષાનો મામલો વર્ષોથી ચર્ચામાં છે. પરંતુ તંત્રનુ પેટનુ પાણી હલતુ નથી એક તરફ સરકાર લાખો રૂપીયાના ખર્ચે જળસ્તર ઉંડા કરવા માટે મોટુ અભિયાન ચલાવી રહી છે. પરંતુ તેમાં પણ કચ્છમાં મોટો ભષ્ટ્રાચારનો બટ્ટો લાગ્યો છે. તેવામાં માધાપરના તળાવને નામશેષ કરવાના જાણે સતત પ્રયત્નો થઇ રહ્યા હોય તેમ સતત ફરીયાદો ઉઠી રહી છે. ફરીયાદીએ ફરી એક અરજી કરી માધાપર ગામના પરંપરાગત જળ સ્ત્રોત એવા મેજીરાઈ તળાવને પ્રદૂષિત કરવા અંગે એક ગંભીર આક્ષેપો કર્યા છે.સામાજિક કાર્યકર્તા ધીરજ ગરવા દ્વારા કલેક્ટર તેમજ સંબંધિત સરકારી વિભાગોને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.અગાઉ કંપની દ્વારા ઝેરી કેમેકલ તળાવમાં ઠલવાતુ હોવાના આરોપ અને કલેકટરના તપાસના આદેશ વચ્ચે ફરીયાદીએ શ્રી રામ મિનરલ્સ કંપનીના ડો.મનોજ સોલંકી તેમજ અન્યો દ્વારા દ્વારા તળાવના પાણીમાં અંદાજે ૫૦૦ ટનથી વધુ ઝેરી સિલિકા ડસ્ટ ડમ્પ કરીને તળાવને પ્રદૂષિત કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.ફરીયાદી દ્વારા અગાઉ જૂનાવાસ ગ્રામ પંચાયત, કલેક્ટર ભુજ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB) ને પુરાવા અને જીઓ-ટેગ ઈમેજ સાથે રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર પ્રદૂષણ ફેલાવનારાઓને મદદગારી કરી રહ્યું હોવાનો પત્રમાં ગંભીર આરોપ કરાયો છે. ફરીયાદીની રજુઆત મુજબ જમીન મહેસૂલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ ૩૮ મુજબ કલેક્ટરની મંજૂરી વગર તળાવમાં કામ થઈ શકે નહીં.તદુપરાંત,અગાઉના સરકારી આદેશો મુજબ તળાવની જાળવણીની જવાબદારી સ્થાનિક ગ્રામ પંચાયતની છે.છંતા કંપની બેરોકટોક કામગીરી કરી તળાવની સ્થિતી ખરાબ કરી રહી છે. ત્યારે રજુઆત કર્તાએ પ્રદૂષણ ફેલાવનારાઓ અને તેમને મદદ કરનાર અધિકારીઓ સામે કલમ ૩૮ મુજબ ગુનો નોંધવામાં આવે તેવી માંગ સાથે ઉચ્ચકક્ષાએથી યોગ્ય તપાસની માંગ કરી છે. સાથે બિનઅધિકૃત સંગ્રહ અને વહન કરનારાઓ સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડ ફટકારીને વપરાયેલી મશીનરી જપ્ત કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. સાથે ચિમકી ઉચ્ચારી છે. કે વાંરવારની રજુઆત પછી પણ જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો મેજીરાઈ તળાવ ખાતે અનશન અને ધરણા પ્રદર્શન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
તંત્રએ કહ્યુ તપાસ ચાલુ છે…
આ અંગે કલેકટરે સમગ્ર મામલાની તપાસ જેને સોંપી છે. તેવા ભુજના પ્રાન્ત અધિકારી ડો અનિલ યાદવનો સમગ્ર મામલે ન્યુઝ4કચ્છએ સંપર્ક કર્યો ત્યારે તેઓએ આવી ફરીયાદી મળી હોવાનુ કહી તપાસ સંદર્ભે જવાબદારો પાસેથી પ્રાથમીક રીપોર્ટ માંગવામાં આવ્યો હોવાનુ કહી સ્થળ તપાસ બાદ સમગ્ર મામલે વધુ જાણકારી આપવાની વાત કહી હતી.હાલ ગ્રામ પંચાયતે નીમ કરેલી જગ્યા અંગે ફરીયાદના આધારે પ્રાથમીક તપાસ અહેવાલ માંગ્યો હોવાનુ તેઓએ ઉમેર્યુ હતુ.તો આ અંગે સામાજીક અગ્રણી મનોજ સોંલકીનો સંપર્ક કરાતા તેઓની કંપની દ્વારા આવી કોઇ પ્રવૃતિ ન થતી હોવાનુ જણાવી તળાવમાં મોટી કે કોઇ પણ કામગીરી તેમના દ્વારા કરાઇ નથી અને તળાવ પણ તેઓએ ઉંડી કરાવ્યુ હોવાનુ જણાવ્યુ હતુ. અને આવી પ્રવૃતિ કોના દ્વારા થઇ રહી છે તે અંગે અજાણતા દર્શાવી હતી.
સર્વોચ્ચ અદાલતના કુદરતી જળસ્ત્રોતની જાળવણી અંગેના સ્પષ્ટ નિર્દેશો બાદ પણ કચ્છમાં અનેક જગ્યાઓ છે. જેની સતત ઉપેક્ષાને કારણે તે આજે ખરાબ સ્થિતીમાં છે. તેવામાં માધાપરના મેજીરાઈ તળાવમાં થતી આવી પ્રવૃતિ સામે જાગૃત નાગરીક મેદાને પડી ન્યાયની માંગ કરી છે. ત્યારે જોવુ રહ્યુ….તંત્ર આ મામલે શુ કાર્યવાહી કરે છે. તે જોવુ અગત્યનુ રહેશે.. જો કે પર્યાવરણ જાગૃતિ માટે જેનુ કચ્છમાં મોટુ નામ છે.તેનાજ ઉદ્યોગગૃહ સામે આવી ગંભીર આક્ષેપ સાથેની અરજીએ અનેક સવાલો ઉભા કર્યા છે.