વાયરલ થયેલા પત્રમાં અંજાર નગરપાલિકાનો વહીવટ બિનઅધિકૃત રીતે ચાલતો હોવાનો ભાજપ સંગઠનનો આક્ષેપ ,પ્રમુખના પતિ દ્વારા કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ અટકાવી અને મનસ્વી નાણાં ઉઘરાવાતા હોવાની ફરીયાદથી અંજાર ભાજપમાં ચાલતો વિખવાદ ચરમસીમાંએ પહોચ્યો છે.જો કે શહેર પ્રમુખે તો આ પત્ર અંગે અજાણાતા દર્શાવી છે. પરંતુ જેના પર આક્ષેપ થયા તેવા મહિલા પ્રમુખે આ બધુ રાજકારણ છે. ચાલ્યા કરે કહી આક્ષેપો ફગાવ્યા હતા.
કચ્છ ભાજપમાં વિખવાદ એ કોઇ નવી વાત નથી. શિસ્ત માનતી પાર્ટીની આબરૂના લીરેલીરા ઉડાડતા અનેક વિખવાદો ભુતકાળ અને વર્તમાનમાં સામે આવ્યા છે. તેવામાં જીલ્લા ભાજપ પ્રમુખ અને રાજ્ય મંત્રીના મત વિસ્તાર અંજારમાં થોડા સમયથી સંગઠન અને સત્તા વચ્ચે વિખવાદના મામલાઓ સામે આવી રહ્યા છે. કેટલાક મામલાઓ દબાઇ જાય છે. પરંતુ કેટલાક બહાર આવે છે. અથવા ચોક્કસ રીતે સામે લાવવામાં આવી રહ્યા છે. તે વચ્ચે અંજાર નગરપાલિકાના વહીવટને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અંજાર શહેર દ્વારા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદને એક લેખિત પત્ર પાઠવીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.પત્રમાં જણાવ્યા અનુસાર,પ્રદેશ પાર્ટીના નામે કોઈપણ પ્રકારનો ફંડ ઉઘરાવવાની સખત મનાઈ છે. તેમ છતાં,આ નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરીને અંજાર નગરપાલિકાના પ્રમુખના પતિ (પ્રતિનિધિ) દ્વારા નગરપાલિકાનો વહીવટ બિનઅધિકૃત રીતે ચલાવવામાં આવી રહ્યો હોવાનો દાવો કરાયો છે.શહેર ભાજપ પ્રમુખ હિતેન વી.વ્યાસ, મહામંત્રી અશ્વિન વી.સોરઠીયા અને કૃપાલસિંહ એન.રાણા દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતના પત્રએ ભારે ખળભળાટ સર્જયો છે. અને આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણમાં મોટા કરંટ આ લેટર સર્જી શકે છે.જો કે સત્તામાં બેઠેલા મહિલા પ્રતિનીધીઓના પતિ અથવા પરિવારના સભ્ય દ્વારા વહિવટી કામોમાં દખલગીરીના આરોપ એ કચ્છમાં અને ભાજપમાં નવી વાત નથી.પરંતુ મહત્વના હોદ્દા પર થઇ રહેલી આવી પ્રવૃતિના આક્ષેપે અંજાર સાથે સમગ્ર કચ્છના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
નાણાકીય વહીવટ અને મનસ્વી માંગણીઓનો આક્ષેપ:
ભાજપ શહેર સંગઠને આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોના કામ પૂર્ણ થયા બાદ આપવાના થતા પેમેન્ટના ચેક અટકાવવામાં આવે છે.આ ઉપરાંત, બપોરે ૩:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન નગરપાલિકાની વિવિધ શાખાના એન્જિનિયરો,કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોને ઓફિસ બહાર અલગ-અલગ જગ્યાએ બોલાવીને આર્થિક વ્યવહારો અને મનસ્વી માંગણીઓ કરવામાં આવતી હોવાની ચોક્કસ માહિતી પાર્ટીને મળી છે.આ ગંભીર મામલે અંજાર નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા પણ લેખિત રજૂઆતો મળેલ હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે.સંગઠન દ્વારા આ અંગે કોન્ટ્રાક્ટરો પાસેથી પ્રાપ્ત થયેલી ચોક્કસ માહિતી જિલ્લા પ્રમુખને પત્રના માધ્યમથી તેમજ લેખિતમાં પૂરી પાડવામાં આવી છે.
મહિલા પ્રમુખે કહ્યુ…રાજકારણ છે..ચાલ્યા કરે
આ સમગ્ર બનાવ સંદર્ભે જ્યારે આક્ષેપ કરનાર પૈકીના જવાબદાર એવા હિતેન વ્યાસનો સંપર્ક કરાયો તો તેઓએ પોતે બહાર હોવાનુ કહી પત્ર અંગે અજાણતા દર્શાવી હતી. અને આવો કોઇ મામલો તેમના ધ્યાનમાં નથી તપાસ કરી જણાવશે તેવો જવાબ આપ્યો હતો. જો કે તેનાથી તદ્દન વિરોધાભાસ જવાબ આપતા અંજાર પાલિકાના મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજી ખાંડેકાએ જણાવ્યુ હતુ. કે થઇ રહેલા આક્ષેપો તદ્દન ખોટા છે. રાજકારણમાં આવુ ચાલ્યા કરે જ્યારે ઉભા કરાવામાં આવતા દબાણ સંદર્ભે નમતુ ન જોખીએ ત્યારે આવી રાજનીતી થતી હોય છે. પરંતુ આ આક્ષેપો તદ્દન ખોટા છે.
સત્તા અને સંગઠન વચ્ચે તાલમેલના અભાવે આવા મામલાઓ ચર્ચામાં તો આવતા હોય છે. પરંતુ પાર્ટી આંતરિક મામલો ગણાવી તેને દબાવી છે. કે પરંતુ પાછલા થોડા સમયથી ભાજપમાં પત્ર કલ્ચર શરૂ થયુ છે. જેના કિસ્સામાં ચુંટણી સમયે પણ સામે આવ્યા હતા. અલબત્ત આવા મામલામાં અત્યાર સુધી જીલ્લા કક્ષાએથી કોઇ ગંભીર કાર્યવાહી થઇ હોય તેવુ ધ્યાને આવ્યુ નથી. તેવામાં ફરી અંજારથી ગંભીર પત્ર સાથેના શરૂ થયેલી આંતરીક ખટપટ્ટ મામલે જીલ્લા કે પ્રદેશ કક્ષાએ શુ નોંધ લેવાય છે. તેના પર સૌની નજર છે. જો કે ભાજપમાં આ મામલો હાલ ભારે ચર્ચામાં છે.